Lumina
Romans

Romans 9

Romans 9·Gujarati Bible

1હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી.

2યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું.

3તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું.

4કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું.

5તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.

Romans 9 illustration - Romans Chapter 9

6હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે.

7અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”

8આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે.

9ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”

10માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક.

Romans 9 illustration - Romans Chapter 9

11(રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું.

12જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય.

13શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”

14તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી.

15દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”

Romans 9 illustration - Romans Chapter 9

16તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી.

17શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.”

18આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે.

19તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?”

20દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?”

Romans 9 illustration - Romans Chapter 9

21જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે.

22દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા.

23એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.

24એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે.

25હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ: “જે લોકો મારા નથી-તેઓને હું મારાં લોકો કહીશ. અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો તેઓ પર હું પ્રેમ કરીશ.”

Romans 9 illustration - Romans Chapter 9

26અને “એ જ ઠેકાણે દેવે કહ્યુ કે, ‘તમે મારી પ્રજા નથી’- તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.”

27અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે. પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.

28હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.”

29યશાયાએ કહ્યું છે તેમ:“દેવ સર્વસમર્થ છે. આપણા માટે દેવે એના કેટલાએક માણસોને બચાવી લીધા, એવું જો દેવે ન કર્યુ હોત તો, સદોમ અને ગમોરાશહેરોના લોકો જેવી આપણી દશા થાત.”યશાયા 1:9

30તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા.

Romans 9 illustration - Romans Chapter 9

31અને જ્યારે દેવ માટે ન્યાયી ઠરવા ઈસ્રાએલના લોકોએ નિયમશાસ્ત્રને અનુસરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સફળ ન થયા.

32સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા.

33એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે. એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે. પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.”

Chapter Complete

You have read Romans 9

33 verses