1યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.

6ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.

11મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે; તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
You have read Psalms 92
15 verses