Lumina
Jeremiah

Heart of Sin

Jeremiah 17·Gujarati Bible

1યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;

2કારણ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.

3અરે, ખેતરમાંના મારા પર્વત, તમારાં સર્વ પાપોની કિંમત રૂપે હું તમારી સર્વ સંપત્તિ તમારા શત્રુઓને આપી દઇશ.

4મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો. દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે, જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં હું તમને મોકલી આપીશ. તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.”

5આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!

Jeremiah 17 illustration - Jeremiah Chapter 17

6તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.

7પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.

8તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે; તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી; એનાં પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી, તે ફળ આપતું જ રહે છે.

9માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.

10માત્ર યહોવા તે જાણે છે, યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે. અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે. જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે તેણે કેવું જીવન વીતાવ્યું છે તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે.

Jeremiah 17 illustration - Jeremiah Chapter 17

11અન્યાયને માગેર્ ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે. અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે; આખરે તે મૂરખ ઠરશે.”

12પરંતુ આપણું મંદિર, આપણો આશ્રય તો અનાદિ કાળથી ઉચ્ચસ્થાને મૂકેલું મહિમાવંત સિંહાસન છે.

13હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે, ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે, કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.

14હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.

15લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે, “યહોવાના વચનો ક્યાં ગયા? જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!”

Jeremiah 17 illustration - Jeremiah Chapter 17

16યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં આગ્રહ કર્યો નથી, મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી, એ તમે જાણો છો; મારે મોઢેથી શું નીકળ્યું હતું એની તને ખબર છે.

17મને ભયભીત ન કરશો. તમે તો સંકટ સમયના મારા આશ્રય છે.

18મારા જુલમગારો પર તમે મૂંઝવણો તથા મુશ્કેલીઓ લાવો, પરંતુ મને શાંતિ આપો, હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો.

19યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.

20“અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો.

Jeremiah 17 illustration - Jeremiah Chapter 17

21આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ.

22વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.

23તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.”‘

24યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.

25“‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે.

Jeremiah 17 illustration - Jeremiah Chapter 17

26યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે.

27“‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘

Chapter Complete

You have read Jeremiah 17

27 verses