Lumina
Acts

Acts 23

Acts 23·Gujarati Bible

1પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.”

2અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું.

3પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”

4પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”

5પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’“

Acts 23 illustration - Acts Chapter 23

6સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!”જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.

7(સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ.

8સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.)

9આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”

10દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.

Acts 23 illustration - Acts Chapter 23

11બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”

12બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ.

13ત્યાં લગભગ 40 ઉપરાંત યહૂદિઓ હતા જેઓએ આ કાવતરું કર્યું હતું.

14આ યહૂદિઓ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોની પાસે ગયા અને વાત કરી. યહૂદિઓએ કહ્યું, “અમે અમારી જાતે ગંભીર પ્રતિજ્ઞા કરી છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે ખાશું કે પીશું નહિ!

15તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. “તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”

Acts 23 illustration - Acts Chapter 23

16પણ પાઉલના ભાણિયાએ આ યોજના વિષે સાંભળ્યું. તે લશ્કરના બંગલામાં ગયો અને પાઉલને તે યોજના વિષે કહ્યું.

17પછી પાઉલે એક લશ્કરના અમલદારને બોલાવ્યો અને તેને કહ્યું, “આ યુવાન માણસને સરદારની પાસે લઈ જા. તેની પાસે તેને માટે સંદેશો છે.”

18તેથી તે લશ્કરનો અમલદાર પાઉલના ભાણિયાને સરદાર પાસે લાવ્યો. તે અમલદારે કહ્યું, “તે કેદી પાઉલે આ યુવાન માણસને તારી પાસે લાવવા માટે મને કહ્યું. તેની ઈચ્છા તને કંઈક કહેવાની છે.”

19તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, ‘તું મને શું કહેવા ઇચ્છે છે?’

20તે યુવાન માણસે કહ્યું, ‘યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે.

Acts 23 illustration - Acts Chapter 23

21પરંતુ તેઓનામાં વિશ્વાસ કરવો નહિ! ત્યાં લગભગ 40 યહૂદિઓ જે છુપાયેલા છે અને પાઉલને મારી નાખવાની રાહ જોઈ રહ્ય છે. તેઓ બધાએ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી ખાવું કે પીવું નહિ! હવે તેઓ તું હા કહે તેની જ રાહ જુએ છે’

22તે સરદારે તે યુવાન માણસને દૂર મોકલ્યો. તે સરદારે તેવે કહ્યું, “કોઈને કહીશ નહિ કે તેં મને તેઓની યોજના વિષે કહ્યું છે.”

23પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 20 0સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો.

24પાઉલની સવારી માટે કેટલાએક ઘોડા તૈયાર રાખો. હાકેમ ફેલિકસ પાસે તેને સહીસલામત લઈ જવામાં આવે.”

25સરદારે એક પત્ર લખ્યો. પત્રમાં આ મુજબ લખાણ છે.

Acts 23 illustration - Acts Chapter 23

26નેકનામદાર ફેલિકસ હાકેમને કલોદિયસ લુસિયાની સલામ.

27તે યહૂદિઓએ આ માણસને (પાઉલ) પકડ્યો હતો અને તેઓએ તેને મારી નાખવાની યોજના કરી હતી. પરંતુ મેં સાંભળ્યું છે કે તે એક રોમન નાગરિક છે, તેથી હું મારા સૈનિકો સાથે ગયો અને તેને છોડાવ્યો.

28હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો.

29મેં જે જાણયું તે આ છે; યહૂદિઓએ કહ્યું, પાઉલે એવું કંઈક કર્યુ છે જે ખોટું હતું. પણ આ આક્ષેપો તેના પોતાના યહૂદિ નિયમો વિષે છે. તેમાનો એક પણ લાયક નથી. અને આ વસ્તુઓમાંની કેટલીક તો જેલ અને મૃત્યુદંડને યોગ્ય છે.

30મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કેટલાએક યહૂદિઓએ પાઉલને મારી નાખવાની યોજના ઘડી રહ્યા હતા. તેથી હું તેને તમારી પાસે મોકલું છું. મેં તે ફરિયાદીઓને પણ તેમને તેની સામે જે વિરોધ હોય તે કહેવા કહ્યું છે.

Acts 23 illustration - Acts Chapter 23

31તે સૈનિકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું. તે સૈનિકો પાઉલને લઈ ગયા અને તે જ રાત્રે અંતિપાત્રિસના શહેરમાં તેઓ તેને લઈ ગયા.

32બીજે દિવસે ઘોડેસવારો પાઉલ સાથે કૈસરિયા પહોંચ્યા. પણ બીજા સૈનિકો અને બરછીવાળા માણસો યરૂશાલેમમાં લશ્કરના મકાનની પાછળ પાછા ગયા.

33ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.

34તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, ‘તું કયા દેશનો છે?’ હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો.

35ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરા હેઠળ રાજમહેલમાં રાખવાનો હુકમ કર્યો.”

Chapter Complete

You have read Acts 23

35 verses